Tuesday 10 January 2017

વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને શૈક્ષણિક પ્રદર્શનમાં યુનિફોર્મની ભુમિકા

વ્યક્તિએ તંદુરસ્ત રહેવા માટે દરરોજના 10,000 પગલા ચાલવું જોઇએ તેવું અમેરિકન હાર્ટ એસોસિએશનનું કહેવું છે. સારું સ્વાસ્થ્ય માત્ર પુખ્ય વયના લોકો માટે જ નહીં પરંતુ બાળકો માટે પણ મહત્વની બાબત છે. બાળપણથી સ્થૂળતા એ ભવિષ્યની પેઢી માટે સૌથી મોટો ખતરો છે. એક વાર બાળક મેદસ્વી બન્યા બાદ તે પુખ્ય વયનું થાય ત્યાં સુધી સ્થૂળતા રહે છે. હકીકતમાં તે લાંબા ગાળાની સ્થૂળતા સાબિત થાય છે. એક કે બે બાળકો ધરાવતા માતાપિતાના ખાદ્યપદાર્થ અને પાર્ટી પાછળના બજેટમાં વધારો જોવા મળ્યો છે. બાળકોને વધુ પડતું ખવડાવાવમાં આવે છે. પણ આ તો સમસ્યાનો એક ભાગ છે. બીજો ભાગ સ્કૂલના સમય દરમિયાન તેની પ્રવૃત્તિઓનું સ્તર છે.

બાળક સ્કૂલમાં દૈનિક છ કલાકનો સમય વિતાવે છે. મોટા ભાગનો સમય તેઓ બેસીને અભ્યાસ કરવામાં પસાર કરે છે. સ્કૂલના દિવસોમાં અનેક સ્કૂલો વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. રિશેષ દરમિયાન તેઓને રમવાની તક મળે છે તથા કેટલીક શારીરિક પ્રવૃત્તિઓ કરે છે. ઘરે ગયા બાદ કેટલાક બાળકો ટીવી જૂએ છે જ્યારે કેટલાક અભ્યાસ કરે છે. એક જ વયના બાળકોના સમુહ અથવા ચિંતાને કારણે દરેક બાળકો ઘરે જઇને રમતા નથી.

જેમ જેમ તેઓ કિશોર વયના થાય છે તેમ તેની શક્તિ વધતા છતાં તેઓ પર અભ્યાસનું ભારણ વધે છે તેથી તેઓએ શારીરિક પ્રવૃત્તિને બદલે બેસીને અભ્યાસ કરવા પાછળ વધુ સમય પસાર કરવો પડે છે.

તેથી ભાવિ પેઢીને શારીરિક તંદુરસ્તી માટે જાગ્રત કરવા આપણે બાળકોને ધોરણ 9માં પ્રવેશ કરે તે પહેલા કાર્યરત કરવા પડશે. સૌથી સહેલો રસ્તો સ્કૂલના ટાઇમ ટેબલમાં દૈનિક શારીરિક પ્રવૃત્તિઓની પીરિયડ રાખવો તે છે. એક વખત સ્કૂલનું ટાઇમ ટેબલ જોતા તેમાં એક દિવસ ખાસ કરીને ક્લાસમાં વિવિધ પ્રવૃત્તિઓ પાછળ ફાળવવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે મંગળવારે ધોરણ 2ના વિદ્યાર્થીઓ શારીરિક પ્રવૃત્તિ કરે છે તો બુધવારે ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓ માટે શારીરિક પ્રવૃત્તિઓ માટેનો એક વર્ગ હોય છે. રસપ્રદ બાબત એ હતી કે આળસુ વિદ્યાર્થીઓ આ દિવસે ગેરહાજર રહ્યા હતા. મે પ્રિન્સીપાલને પૂછ્યું કે શા માટે આ રીતે પીરિયડ રાખવામાં આવ્યા છે તો તેમણે જવાબ આપ્યો કે આ પ્રવૃત્તિઓના દિવસ દરમિયાન છોકરીઓ દરેક શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લઇ શકે તે માટે તેઓ ફ્રોક નીચે પાયજામા પહેરે છે. ત્યારબાદ તરત સવાલ થયો કે છોકરાઓ તો રિશેષમાં હજૂ પણ રમતા હોય પણ છોકરીઓ શું કરતી હશે. પાયજામાં ના પહેરાય તેથી શારીરિક પ્રવૃત્તિઓ પણ અન્ય દિવસે ના થાય.

તેનાથી એક મહત્વનું નીરિક્ષણ સામે આવ્યું. વિદ્યાર્થીનીઓ સામાન્ય રીતે રિશેષમાં નાસ્તો કરીને તથા એકબીજા સાથે વાતો કરીને સમય પસાર કરે છે. જ્યારે છોકરાઓ શારીરિક પ્રવૃત્તિઓ કરતા હતા. દરેક વિદ્યાર્થીઓ રોજ કસરતને બદલે સપ્તાહના કોઇ એક દિવસ દરમિયાન કસરત કરતા હતા. પરિણામે વિદ્યાર્થીનીઓનું વજન વધી ગયું હતું. બીજી બાજુ છોકરાઓ માટે શારીરિક પ્રવૃત્તિઓના વર્ગ ઓછા હોવાથી તેઓ પણ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બન્યા હતા.

અમદાવાદની બે સ્કૂલો - ઉદ્દગમ અને ઝેબરે છોકરીઓને પાયજામાં આપ્યા છે અને તેઓના ટાઇમટેબલમાં દરરોજનો એક પીરિયડ શારીરિક પ્રવૃત્તિઓ માટે રાખવામાં આવ્યો છે. આ જ પ્રવૃત્તિઓ વર્ષ સુધી ચાલુ રાખ્યા બાદ બાળકોના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો અને તેઓને દરરોજ સ્કૂલે અાવવાનું પ્રોત્સાહન પણ મળ્યું છે તેથી ગેરહાજરીમાં પણ ઘટાડો થયો છે. હકીકતમાં બાળકોની રોગ પ્રતિકારકશક્તિમાં વધારો થયો છે અને માંદગીમાં પણ ઘટાડો થયો છે. એકંદરે સ્કૂલના શૈક્ષણિક પ્રદર્શનમાં પણ સ્થિર સુધારો જોવા મળ્યો છે.


No comments:

Post a Comment